વરસાદ પછીનો ઉઘાડ

Archive for the ‘ગઝલ’ Category

-જિગર જોષી ‘પ્રેમ’

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું!
ખૂણા ને ખાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

જરા મૂશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે!
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.
-ડો મનોજ જોષી ‘મન’

એક સદી વટાવી ચૂકીને, અનુભવોના કંઇ કેટલાયે આયામો સર કરીને, આજે “ગઝલ” લોકપ્રિયતાના સર્વોત્તમ શિખરે બિરાજમાન છે. એક ગઝલકાર તરીકે મને ભારોભાર ગૌરવ છે આ વાતનું. કૃત્રીમ રીતે ચિતરાયેલી અથવા જાણી જોઇને ઊભી કરેલી “અણગમો સર્જતી અમાસ”ને નખશિખ ડામી દેવા “ગઝલ” પાસે આજે પોતીકો સક્ષમ અજવાસ છે, એક નોખું અજવાળું છે. “ગરજ” નામના તમામ વાદળો હવે “ગઝલ”નામના ચંદ્રમા સામેથી હટી ગયા છે અને પૂનમના ચાંદની જેમ સાહિત્યના આકાશમાં ઝળહળી રહી છે ગઝલ.

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે,

તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં આ કવિ ગઝલના મરીઝ છે. ગઝલની શરુઆત જ જાણે અદકેરી થઈ છે. જુઓ “નાચમનાચ” જેવો શબ્દ-પ્રયોગ વ્યંગ, કટાક્ષ છતાં ધારદાર રીતે અહીં પ્રયોજાયો છે. કવિ પોતે નોખી જ દ્રષ્ટિ લઇને આસપાસના વાતાવરણને જીવતો હોય છે. જિંદગી જાણે “નાચમનાચ” છે. આપણે કઠપુતળી છીએ. કોઇ દોર ખિંચે અને આ નાચમનાચ શરું. એક સક્ષમ અફસોસ છે કે આપણાથી કૈંજ થઈ શકતું નથી-જઝૂમવા સિવાય!
ઉલા મિસરામાં “નીકળી જવાનું” જે આદર્શ સૂચન છે એ સનાતન સ્વિકાર્ય ત્યારે જ બને જ્યારે સાનિ મિસરામાં “ક્યાંથી નીકળી જવાનું છે?” એ વાત નક્કી થાય. જવાબમાં કવિ “પાંચ પદારથ” માંથી નીકળી જવાનું ચિત્ર આપણી સમક્ષ સ્પષ્ટ કરે છે. પણ આ પાંચ પદારથ ક્યાં? પવન, પ્રકાશ, પાણી…. યાદ આવ્યુંને? આપણે સાથે કૈંજ લાવ્યા નથી તો શું ખંખેરીને ઊભા થવાના સાહેબ? નિષ્કર્શ તો આખર એ જ કે…પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું!
ખૂણા ને ખાંચ માંથી આપણે નીકળી જવાનું છે.

આગળ કવિ નવા શે’રમાં ફરી નવો નિર્દેશ કરે છે “અસ્તિત્વ સમેટવાનો”. આપણે ક્યાં ક્યાં જીવીએ છીએ, કોની- કોની સાથે કેટકેટલું “Share” કરીએ છીએ, આપણી અધુરપને કોની તૃપ્તતા સાથે મેચ કરીએ છીએ, કોના ખાલીપાને આપણે ઉછેર્યા છે…આ અને આવું બધું જ યેન કેન પ્રકારેન આપણાં અસ્તિત્વનો જ ભાગ છે. એક એવા ટાણાનો કવિ ઉલ્લેખ કરે છે જ્યારે બધું જ સમેટવાનું હોય. આપણી સમગ્રતાને સંપૂર્ણત: નામશેષ કરવાની ઉમદા વાત ગૂઢ રીતે છૂપાઈ છે. ખાંચ જેવો કાફિયા બ-ખૂબી નિભાવ્યો છે. ‘દિવ્યતા’ને પણ વિચાર કરવા પ્રેરે એવી નાવિન્યસભર વાત છે અહીં. “ખૂણા ને ખાંચ” એ કોઇ ઓરડા, એરકન્ડિશન્ડ ઓફિસ કે મંદિર-મસ્જિદ જેવા સ્થાયિ સ્થૂળ વિસ્તારની વાત નથી. કવિ તો એથી આગળ વધીને કહે છે કે મન-હ્રદયના ખૂણેથી પણ નીકળી જવાનું છે. દિશાશૂન્ય, દશાશૂન્ય, શ્વાસશૂન્ય તો ખરું જ ખરું પણ આ તો અસ્તિત્વશૂન્યની વાત છે સાહેબ. કવિ વાચક-ભાવકને જુદા જ વિચાર-બ્રહ્માંડમાં લૈ જાય છે આ શે’રથી.

જરા મૂશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

સમયને વિષય તરીકે પ્રયોજીને ઘણાં ગઝલકારોએ મુરસ્સા અને મુસલસલ ગઝલો આ અગાઉ પણ કહી છે. પણ વાત તો` નવી રીતે મૂકવાની છે. શ્વાસ લેવોય ક્યાં સરળ છે ? આ બધું જીવવા માટે તો છે. શ્વાસ ટકાવવાની આ રેસ અપંગને પણ દોડાવે છે છતાં શબ્દ-સાધક કોઇને હવામાં લટકાવીને નિકળી નથી જતો. જુઓ! આ શે’રમાં આશાવાદ નરી આંખે દેખાય-વંચાય છે. “ચહો તો થઇ શકે ચોક્ક્સ” એવું વિધાન યોજીને નિજી શક્તિનું પ્રાણ-પ્રાકટ્ય કરાવે છે. આ ‘પ્રાણ-પ્રાકટ્ય’ થયા પછીનું કપરું કાર્ય છે ‘સમયની ચાંચ’થી સરકી જવાનું. જાત સાથે ગોઠડી માંડતા કવિ પોતાનો જ વાંસો થાબડીને એક લક્ષ્ય નક્કી કરે છે કે સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે!
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

સ્વપ્ન, અરીસો અને હ્રદય એ એવા કૂળમાં જન્મ્યા છે, એવી કુંડળી લઇને અવતરણ પામ્યા છે કે જેમના ભાગ્યમાં જ તૂટવાનું લખાયું છે! બરફને વારસામાં આવ્યું પિગળવાનું, ફૂલોને આવ્યું ઉઘડવાનું ને અરીસાને સત્યતાના દર્શન કરાવવાનું એટલે કે હોય એવું સ્પષ્ટ દેખાડવાનું. અહીં આજનો માનવી સહજતાથી તાદ્રશ્ય થયો છે. ભઇ ! અરીસો તો કેમ છેતેરી શકે!? માનવી કેટકેટલા મોહરા પહેરી જીવે છે, શ્વાસ પણ ઉછીના ને હોવાપણાના ભાસ-આભાસ પણ ઉછીના! હવે દ્રષ્ટિ પર કોઇ અજાયબ ચશ્મા ચડાવી વિહરી રહ્યો છે માનવી! પોતાની જાતને પણ આરસીમાં સાચી રીતે જોઇ નથી શકતો. ભારોભાર કરુણા ! અહો! પ્રભુ! વૈચિત્રમ્ વૈચિત્રમ્ ! બધી જ છેતરામણમાંથી નીકળી જવાની વાત છે. અહીં કવિએ કાફિયા સંદર્ભે એક નાની છૂટ લીધી છે. શરુઆતથી જોઇએ તો પાંચ, ખાંચ, ચાંચ આ બધા અનુસ્વારવાળા કાફિયા સાથે કાચ કાફિયા પ્રયોજાયો છે. આ છૂટ જો નકારી શકાઇ હોત તો વધારે આનંદ થતે! ખેર! ગઝલમાં “કવિત્વ” હોવું, પ્રગટાવવું એ જ અંતિમ ધ્યેય! ને કવિત્વ પ્રગટાવવામાં કવિ ક્યાંય પાછા નથી જ પડ્યા. સલામ છે…

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બહોત અચ્છે! ડોક્ટર સહેબ! ઇશ્વર આપણને જ્યોત થવાનું શિખવે, પ્રકાશ કેમ ફેલાવવો એ વાતથી વંચિત રાખે! “આગળ ખાડો છે સંભાળજે, ડાબી બાજુ દિવાલ છે ચેતજે” એમ દ્રશ્ય વિશે તમામ માહિતી આપે પણ આંખ ન આપે! એ આપણી મર્યાદાઓ પાસેથી પણ ઉત્તમ કામ લઈ લે છે એ આશ્ચર્ય આહલાદક અને સુખદ છે! છતાં હોવાપણાનો મોટામાં મોટો અફસોસ આપણી ધારણા, ગણતરી પ્રમાણે કૈંજ નથી થયા-ની જાણકારી. આખરે હાથ શું લાગે છે ? કૈંજ નહી…! જો આપણી ગણતરી પ્રમાણે આકાર ન મળતો હોય તો એવી ટાંચમાંથી “નીકળી જવાનું” જ બહેતર છે.

આમ આખીય રચનામાં સક્ષમ કાફિયા-રદિફનું પ્રયોજન, ફ્રેશ કલ્પનો, આકર્ષતા ભાવ-નાવિન્યો અને ગઝલની પ્રાથમિક શરત એવી ગહનતાને બ-ખૂબી આ કવિ નિપજાવી શક્યા છે. હજી ભવિષ્યમાં બળકટ રચનાઓ એમના તરફથી મળતી રહે એજ અભ્યર્થના સાથે અસ્તુ.

(આ ગઝલ વિશે નિરાંતે અને ઊંડાણપૂર્વક શ્રી રાજેશવ્યાસ મિસ્કીન સાથે વાત થઈ ત્યારે એમણે એક બહુ જ સૂક્ષ્મ અને સક્ષમ સુચન કર્યુ કે જો “આ નાચમનાચ” શબ્દની જગ્યાએ “બધા આ નાચ” શબ્દ પ્રયોજાયો હોત તો ગઝલની ગરીમા ઔર નિખરતે…)



  • નથી
123